મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના સૌથી જટિલ અને મહત્વના હિસ્સા સમાન અમદાવાદમાં સાબરમતી નદી પરના પુલનું નિર્માણ કાર્ય હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. ૧૨ માળની ઇમારત જેટલી એટલે કે આશરે ૧૧૮ ફૂટ (૩૬ મીટર)ની ઊંચાઈ ધરાવતો આ પુલ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અત્યંત પડકારજનક માનવામાં આવે છે.
વ્યૂહાત્મક સ્થાન અને લંબાઈ
૪૮૦ મીટર લાંબો આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય લાઈનની એકદમ નજીક બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી ૧ કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી ૪ કિમીના અંતરે આવેલો છે, જે બંને સ્ટેશનો વચ્ચે કડી સમાન બનશે.
એન્જિનિયરિંગની વિશેષતા: બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિ
નદીના ઊંડા પાણી અને લાંબા સ્પાનને કારણે આ પુલના નિર્માણમાં ‘બેલેન્સ્ડ કેન્ટિલીવર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- આ પદ્ધતિમાં પુલની નીચે કોઈ ટેકો (સ્કેફોલ્ડિંગ) રાખ્યા વિના પિયરની બંને બાજુ સંતુલન જાળવીને સેગમેન્ટ્સ જોડવામાં આવે છે.
- પુલ કુલ ૭૬ મીટરના ૫ સ્પાન અને ૫૦ મીટરના ૨ સ્પાનથી બનેલો છે.
- દરેક સ્પાનનું નિર્માણ સાઇટ પર જ ૨૩ અલગ-અલગ સેગમેન્ટ્સને જોડીને કરવામાં આવે છે.
બાંધકામની વર્તમાન સ્થિતિ
પુલના નિર્માણમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. - આઠ પિયર્સ તૈયાર: ૬ થી ૬.૫ મીટર વ્યાસ ધરાવતા તમામ આઠ પિયર્સ (થાંભલા) પૂર્ણ થઈ ચૂક્યા છે, જેની ઊંચાઈ ૩૧ થી ૩૪ મીટર છે.
- સ્પાનની કામગીરી: ૭૬ મીટરના ત્રણ સ્પાન પૂર્ણ થઈ ગયા છે, જ્યારે બાકીના સુપરસ્ટ્રક્ચર અને પિયર હેડનું કામ હાલ પ્રગતિમાં છે.
- પાયાનું કામ: પાયા અને સબસ્ટ્રક્ચર સંબંધિત તમામ કામગીરી સફળતાપૂર્વક આટોપી લેવામાં આવી છે.
પર્યાવરણ અને નદીના પ્રવાહનું ધ્યાન
નિર્માણ કાર્ય દરમિયાન સાબરમતી નદીના પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. થાંભલાઓનું આયોજન એવી રીતે કરાયું છે કે નદીના પટમાં ન્યૂનતમ અડચણ આવે. વધુમાં, કુદરતી ડ્રેનેજ જાળવી રાખવા માટે હ્યુમ પાઇપ કલ્વર્ટ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી પાણીનો મુક્ત પ્રવાહ અવિરત ચાલુ રહે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો આ હિસ્સો પૂર્ણ થતા જ અમદાવાદના આકાશમાં એન્જિનિયરિંગની એક અનોખી મિશાલ જોવા મળશે, જે ભારતની આધુનિક પરિવહન ક્ષમતાની સાક્ષી પૂરશે.